તત્ત્વદૃષ્ટિ
મહામાયા અને સર્જનના પાંચ આયામો
સાધક મિત્રો,
ભારતીય સંસ્કૃતિના ધાર્મિક - આધ્યાત્મિક વિકાસની ખુબ લાંબી પરંપરા રહી છે. પ્રાચીન ઋષિ-મુનીઓએ આપણી ફિલસુફીમાં બ્રહ્માંડ વિકાસની પ્રકીયામાં જીવ - ઈશ્વર - માયા બ્રહ્મ - પર બ્રહ્મના પાંચ સ્તરોનું વિશદ જ્ઞાન મેળવીને તેની ચકાસણી કરેલી છે. પર બ્રહ્મથી લઈને જીવની ઉત્પત્તિ સુધી કેવા કેવા આયામો હોય છે અને પરમાત્માએ પોતાની ઈચ્છાથી એકમાંથી અનેક થવાનો જે મહાન સંકલ્પ કર્યો અને તેનાથી બ્રહ્માંડ તથા તેનાં આનુષાંગીક સ્તરો, અને અંતે તેમાં સજીવ - નિર્જીવ તત્ત્વોનું કેવી રીતે નિર્માણ થયું એ બધુ આપણા પ્રાચીન ગ્રંથોમાં ખૂબજ તાત્ત્વિક રીતે છણાવટ પામીને ગ્રંથીત થયેલું છે. પરબ્રહ્મના નીચેના સ્તરના અને એના અંશાત્મક એવા બ્રહ્મ અને માયાને કારણે એના નીચલા સ્તરના ઈશ્વર અને જીવની ઉત્ત્પત્તિ કેવી રીતે થઈ તે આ ગ્રંથોમાં ખુબજ વિસ્તારથી જણાવેલું છે. આ પાંચ આયામોના મધ્યમાં રહેલી માયા જેણે આપણે પ્રકૃતિ કહીએ છીએ તે એક મહાશકિત છે. આ માયા કે મહામાયાના સ્તરે સર્જન - વિકાસ - વિસર્જનની પ્રક્રિયાઓ નિરંતર ચાલતી રહેતી હોય છે. પ્રકૃતિના ત્રણ ગુણો જેવા કે સત્ત્વ - રજસ અને તમસ અને મૂળ તત્ત્વોના સંમમિશ્રણથી અનેક સજીવ - નિર્જીવ પદાર્થોનું સંગઠન - વિઘટન નિરંતર ચાલતું રહેતું હોય છે. આ નિર્માણ પામેલા સજીવ - નિર્જીવોનું નિયંત્રણ ઈશ્વરીય સ્તર કરે છે અને તેની પર રહેલું માયા - મહામાયાનું સ્તર આ બન્ને સ્તરો ઉપર નિયંત્રણ ધરાવે છે. સર્જન - વિકાસ - વિસર્જનની પ્રક્રિયામાંથી જે જીવ બહાર નીકળી જાય તે મહા માયાનાં સ્તરને ઓળંગીને બ્રહ્મ અને બાદમાં મૂળ અસ્તિત્ત્વ એવા પરબ્રહ્મમાં વિલીન થઈ જાય છે. આપણા ઋષિ મુનીઓએ આ મહામાયાની સગુણ - સાકાર કલ્પના કરીને તેને મહા શકિતનું સ્વરૂપ આપ્યું છે. બ્રહ્મ પોતે નિષ્ક્રીય હોય છે પણ જેવું તે મહામાયાનાં સંપર્કમાં આવે છે તેવુંજ તે સક્રિય બની જાય છે અને તેના લીધે પ્રકૃતિની રચના થઈને તેની નીચેના આયામો સર્જાય છે.
આપણા ઋષિ મુનીઓએ આ સગુણ - સાકાર મહામાયા જે ત્રિગુણાત્મક પ્રકૃતિ છે તેને સ્ત્રી / માતૃકા સ્વરૂપે કલ્પીને તેના વિવિધ સુંદર સ્વરૂપો સર્જ્યા છે. આ સ્વરૂપોના આવિષ્કાર માટે પૂજા, યંત્રો, મંત્રો અને યજ્ઞોનો આવિષ્કાર કરેલો છે. આ પ્રયોગોને કારણે અસંખ્ય પ્રાકૃતિક તત્ત્વોને આપણે ઈશ્વર તથા મહામાયાના પ્રતિકાત્મક સ્વરૂપે જોઈ શકીએ છે. પ્રાચીન આર્યોના સપ્ત સિંધુના પ્રવેશ પહેલાં ભારતમાં નિવાસ કરતી પ્રાચીન જાતિઓમાં શકિત પૂજા, લિંગ પૂજા, યોની પૂજા, પશુ પૂજા, પક્ષી પૂજા, નાગ પૂજા, ભૂત પ્રેત પૂજા, વૃક્ષ પૂજા તથા અન્ય પૂજા વગેરેના પ્રકારો જોઈ શકાય છે. મોહેંજોદડો અને હડપ્પાનાં ઉત્ખનન પામેલા પ્રાચીન અવશેષોમાંથી તે સમયે આ બધી પૂજાઓ થતી હતી તેના પુરાવા પ્રાપ્ત થયા છે. પ્રાચીન સમયમાં કોઈ પાંચથી આઠ વર્ષની કોઈ પવિત્ર બાળામાં માતૃકા શકિતનો વાસ કલ્પીને તેની જીવતં દેવી તરીકે પૂજા થતી હતી તેવા ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં જોઈ શકાય છે. તદઉપરાંત જગતની પ્રાચીનતમ સંસ્કૃતીઓમાં પણ આ દેવી પૂજાનાં અલગ અલગ પ્રકારો હતા તેવા ઉલ્લેખો મળી આવ્યા છે. આપણી પ્રાચીન અથર્વણ પરંપરામાં શ્રી મહાદેવી નિકુંભલા એ મહામાયાનું એક પ્રતિભાસિક સ્વરૂપ હતું તેવા ઉલ્લેખો મળી આવ્યા છે. આર્યેતર જાતિઓમાં શ્રી નિકુંભલા દેવીનું સ્વરૂપ ખુબજ પ્રસિદ્ધ અને પૂજનીય હતું તથા ઘણી બધી જાતીઓના તે કુળદેવી તરીકે પ્રસ્થાપિત થયેલાં હતાં. આપણા પ્રાચીન ગ્રંથોમાં સમગ્ર દેવી દેવતાઓ તથા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ તેમને વંદન કરતા હતા તેવા ઉલ્લેખો મળી આવ્યા છે.